ભારત- ન્યૂઝીલૅન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર, પીએમ મોદીએ શું કહ્યું?- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે આજે મુક્ત વેપાર કરાર (એફટીએ) થયા છે. વડા પ્રધાન મોદીએ તેને ઐતિહાસિક ગણાવ્યું છે.
આ પહેલાં ન્યૂઝીલૅન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્ઝને પણ આ કરારને ભારત અને ન્યૂઝીલૅન્ડના સંબંધોમાં 'ઐતિહાસિક સીમાચિહ્ન' ગણાવ્યો હતો.
પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝીલૅન્ડના વડા પ્રધાનની પોસ્ટને રિપોસ્ટ કરીને લખ્યું હતું, "આજે ભારત-ન્યૂઝીલૅન્ડની ભાગીદારીમાં એક ઐતિહાસિક ક્ષણ છે."
તેમણે કહ્યું , "ભારત-ન્યૂઝીલૅન્ડ FTA આપણી વિકાસ ભાગીદારીને અભૂતપૂર્વ પ્રોત્સાહન આપશે."
"તે આપણા બંને દેશો વચ્ચેના ઊંડા વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે."
વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, "આ કરારથી આપણા ખેડૂતો, યુવાનો, મહિલાઓ, MSME, કારીગરો, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને ઇનોવેશન સાથે સંકળાયેલા લોકોને ઘણો ફાયદો થશે. આનાથી વિકાસના નવા રસ્તા ખૂલશે, તકો ઊભી થશે અને વિવિધ ક્ષેત્રોમાં આપણી ભાગીદારી મજબૂત થશે."
તેમણે કહ્યું હતું કે, "ન્યૂઝીલૅન્ડ તરફથી '20 અબજ ડૉલરનું રોકાણ' એ કૃષિ, ઉત્પાદન, નવીનતા અને ટેકનૉલૉજીના ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવશે."
ભારત અને ન્યૂઝીલૅન્ડે આજે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ન્યૂઝીલૅન્ડ તરફથી વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલેએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની સરકારે કરી જાહેરાત

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર (વીકે) સક્સેનાએ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરી છે. તેમણે આ દિવસને 'ઐતિહાસિક' ગણાવ્યો હતો.
આ પાંચ નવા જિલ્લાઓ નુબ્રા, શામ, ચાંગથાંગ, ઝાસ્કર અને દ્રાસ હશે.
લદ્દાખમાં હાલમાં ફક્ત બે જ જિલ્લા છે, કારગિલ અને લેહ. લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરીથી લદ્દાખમાં હવે કુલ સાત જિલ્લાઓ હશે.
વીકે સક્સેનાએ કહ્યું , "મેં લદ્દાખમાં પાંચ નવા જિલ્લાઓની રચના માટેના જાહેરનામાને મંજૂરી આપી દીધી છે. આનાથી લદ્દાખના લોકોની લાંબા સમયથી ચાલી આવતી માગ અને આકાંક્ષાઓ પૂર્ણ થઈ છે."
સક્સેનાના જણાવ્યા મુજબ, "ગૃહ મંત્રાલયે ઑગસ્ટ,2024 માં નવા જિલ્લાઓની રચના માટે મંજૂરી આપી હતી."
"આનાથી જમીની સ્તરે વહીવટને મજબૂત બનાવવામાં મદદ મળશે. વહીવટી માળખાનું વિકેન્દ્રીકરણ થશે અને લદ્દાખના લોકો, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને જાહેર સેવાઓની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત થશે."
લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે નવા જિલ્લાઓની રચના એ લોકો અને સરકાર વચ્ચે ગાઢ સંબંધો સ્થાપિત કરશે. તે વિકાસ, રોજગાર અને ઉદ્યોગસાહસિકતા માટે નવી તકોનું પણ સર્જન કરશે.
સાગર રબારીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

ઇમેજ સ્રોત, Facebook/Sagar Rabari
આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સાગર રબારીએ પાર્ટી છોડી દીધી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુકમાં લખ્યું કે 'હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીથી પોતાને મુક્ત કરું છું. સહયોગ બદલ સહુ સાથીઓનો હૃદયપૂર્વક આભાર.'
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં પણ તેમણે રાજીનામાની પુષ્ટિ કરી છે.
રાજીનામાનું કારણ આપતા તેમણે જણાવ્યું કે "હું ખેડૂતોના પાંચ મુદ્દા લઈને આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. જોકે કેટલાંક કારણસર એ કામ થઈ શકતાં નહોતાં. આથી હું રાજીખુશીથી પાર્ટીમાં નીકળી રહ્યો છું."
અન્ય પાર્ટીમાં જોડાવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ "કોઈ પાર્ટીમાં જોડાશે નહીં અને ખેડૂતોનું કામ કરતા રહેશે."
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં સાગર રબારી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એ સમયે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને સાગર રબારીનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
સાગર રબારીએ અર્થશાસ્ત્ર વિષય સાથે બૅચલર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે અને પત્રકારત્વમાં ડિપ્લોમાં કોર્સ પણ તેમણે કર્યો છે.

ઇમેજ સ્રોત, Facebook/Sagar Rabari
1984માં સાગર રબારી ગુજરાતના જાણીતા કર્મશીલ ચુનીભાઈ વૈદ્ય સાથે ગુજરાત લોકસમિતિમાં જોડાયા હતા અને 2012 સુધી જોડાયેલા રહ્યા હતા.
2018માં સાગર રબારીએ પાકવીમો, લઘુતમ ટેકાના ભાવ, સિંચાઈની સમસ્યા, જમીનસંપાદન જેવા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવા માટે ખેડૂત એકતા મંચની સ્થાપના કરી હતી.
નર્મદા ડૅમનું પાણી ખેડૂતોને અપાવવા માટેનું આંદોલન, ભાવનગરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામેનું આંદોલન તથા મીઠી વીરડી અને મહુવાના આંદોલનોમાં તેઓ સક્રિય રહ્યા હતા.
જસદણ : તળાવમાં નાહવા ગયેલાં ચાર બાળકોનાં મોત

ઇમેજ સ્રોત, bipin tankaria/bbc
રાજકોટથી બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લાના જસદણના આલણ સાગર તળાવમાં નાહવા પડેલાં ચાર માસૂમ બાળકોનાં ડૂબી જતાં મોત થયાં છે.
આ ચારેય બાળકોની ઉંમર 10થી 15 વર્ષની વચ્ચે હોવાનું માનવામાં આવે છે.
બાળકના પિતા ભરતભાઈએ મીડિયાને જણાવ્યું કે એ લોકો બપોરે નાહવા ગયા હતા. પછી ક્યાંક ગુમ થઈ ગયાં એ ખબર ન પડી.
ભરતભાઈનો પુત્ર કાળુ (વય, 10 વર્ષ) પણ તળાવમાં નાહવા ગયો હતો. કાળુ પાંચમું ધોરણ ભણતો હતો.
બાળકોના પરિવારે મીડિયાને જણાવ્યું કે ચારેય બાળકો બપોરના સમયે તળાવમાં નહાવા ગયાં હતાં અને મોડે સુધી ઘરે પરત ન ફરતા તપાસ શરૂ કરી હતી.
શોધ કરતા તળાવના કાંઠેથી તેમનાં સાઇકલ, કપડાં અને ચપ્પલ મળ્યાં હતાં. પછી તેમણે શોધખોળ શરૂ કરી હતી.
ત્યાર બાદ બાળકોને બચાવવા માટે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા ડૅમના ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરી હતી.
સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમે ચારેય બાળકોના મૃતદેહ તળાવમાંથી કાઢ્યા હતા અને જસદણ સિવિલ હૉસ્પિટલ પીએમ માટે ખસેડ્યા હતા.
આ તમામ બાળકો સામાન્ય પરિવારનાં હતાં. ભોગ બનનાર બાળકોના પરિવારજનો જસદણના વીંછિયા રોડ પર રહેતા હતા.
ચાર બાળકોનાં મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલું મતદાન થયું?

ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP via Getty Images
26 એપ્રિલ, 2026ના રોજ ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાઈ ગયું.
ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ અનુસાર, મહાનગરપાલિકામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ કુલ 55.11 ટકા મતદાન થયું છે.
નગરપાલિકામાં અત્યાર સુધી 65.53 ટકા મતદાન થયું છે.
જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66.62 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે તાલુકા પંચાયતોમાં 67.25 ટકા મતદાન થયું છે.
ટ્રમ્પે કહ્યું, 'ન તો હું બળાત્કારી છું અને ન તો મેં કોઈનો બળાત્કાર કર્યો'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂ દરમિયાન મહિલા પત્રકાર નોરા ઓ'ડોનલને 'શરમજનક' ગણાવ્યાં હતાં.
સીબીએસ ન્યૂઝના 60 મિનિટમાં પ્રોગ્રામમાં ટ્રમ્પનો ઇન્ટરવ્યૂ પત્રકાર નોરા લઈ રહ્યાં હતાં.
એ સમયે તેમણે વ્હાઇટ હાઉસમાં કૉરસ્પૉડેટ્સ ડીનરમાં ગોળી ચલાવનાર સંદિગ્ધ શખ્સના મૅનિફેસ્ટોનો (ઇરાદો) ઉલ્લેખ કર્યો. હુમલાખોરે ટ્રમ્પના એપ્સ્ટીન જોડાણ અંગે ઉલ્લેખ કર્યો હતો, જે પત્રકારે ટ્રમ્પ સામે વાંચીને સંભળાવ્યો.
આના પર ટ્રમ્પે કહ્યું કે "મને ખબર હતી કે તું આ વાંચીશ, કેમ કે તમે લોકો બહુ ખરાબ છો. હાં, તેણે લખ્યું હતું, પરંતુ ન તો હું બળાત્કારી છું અને ન તો મેં કોઈનો બળાત્કાર કર્યો છે."
ટ્રમ્પે આગળ કહ્યું, "તમે કોઈ બીમાર માણસનો બકવાસ વાંચ્યો, મને એ બાબત સાથે જોડ્યો, જેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. મને સંપૂર્ણ રીતે મુક્ત કરવામાં આવ્યો હતો."
ટ્રમ્પે ફરી કહ્યું, "મેં મૅનિફેસ્ટો વાંચ્યો છે. એ માણસ બીમાર હતો, પણ તમને શરમ આવવી જોઈએ કે તમે આ વાંચ્યું, કેમ કે હું એવો નથી."
નારાએ સ્પષ્ટ કર્યું કે આ તેમના શબ્દો નથી, પરંતુ ટ્રમ્પે કહ્યું કે તેમણે ટીવી પર આ વાંચવું જોઈતું નહોતું.
ગુજરાતની આ બેઠક પર ફરી મતદાન થશે

ઇમેજ સ્રોત, sachin pithva
ગુજરાતમાં 26 એપ્રિલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું.
જોકે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના જેપર ગામે ઇવીએમમાં ગઈ કાલે ટેકનિકલ ખામી સર્જાતા આજે ફરી વાર મતદાન યોજાશે.
બીબીસીના સહયોગી સચીન પીઠવાના જણાવ્યા અનુસાર, જેપર પ્રાથમિક શાળામાં આવેલા મતદાનમથક 04 અને 05માં આજે ફરી વાર મતદાન થશે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે ઇવીએમ અને બેલેટ યુનિટ બન્નેમાં લાંબા સમય સુધી ટેકનિકલ ખામી થતા લોકો મતદાન કરી શક્યા નહોતા.
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે આજે ફરી મતદાન થશે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળશે ઈરાનના વિદેશમંત્રી

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી રશિયા જઈ રહ્યા છે. અહીં તેઓ રાજધાની મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે.
આ માહિતી ઈરાની સ્ટુડન્ટ્સ ન્યૂઝ એજન્સીએ રશિયામાં ઈરાનના રાજદૂત કાઝેમ જલાલીના હવાલાથી આપી છે.
કાઝેમ જલાલીએ કહ્યું કે આ મુલાકાત આજે એટલે કે સોમવારે થશે. તેમણે કહ્યું કે અરાગચી રશિયન અધિકારીઓ સાથે વાતચીત કરશે, જેમાં વર્તમાન સ્થિતિ, યુદ્ધવિરામ અને તેને સંબંધિત ઘટનાઓ પર ચર્ચા થશે.
રશિયન વિદેશ મંત્રાલયે પણ રવિવારે પુષ્ટિ કરી કે અરાગચી વાતચીત માટે મોસ્કો આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ અબ્બાસ અરાગચી પાકિસ્તાન અને ઓમાન ગયા હતા, જ્યાં મધ્યપૂર્વની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















