આંધ્ર પ્રદેશે વધારે બાળકો પેદા કરનારા માટે રોકડ સહાય આપવાની યોજનાની કરી જાહેરાત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ શનિવારે ઘોષણા કરી કે વધારે બાળકો પેદા કરનારાઓને પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
શ્રીકાકુલમ જિલ્લામાં એક કાર્યક્રમમાં બોલતા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે ત્રીજા બાળક પેદા થવા પર માતાપિતાને 30 હજારની રોકડ સહાય અને ચોથા બાળક પેદા થવા પર માતાપિતાને 40 હજારની રોકડ સહાય આપવામાં આવશે.
ચંદ્રાબાબુ નાયડુનું કહેવું છે કે ઘણા લોકોને લાગે છે કે ઘણાં બાળકો હોવાં ભાર છે પરંતુ આ સાચું નથી.
બીબીસી તેલુગુ પ્રમાણે, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ જેવાં દક્ષિણનાં રાજ્યો લાંબા સમયથી જનસંખ્યા નિયંત્રણ તથા તેનાં પરિણામો મામલે પોતાનો અવાજ ઉઠાવતાં રહ્યાં છે.
ચંદ્રાબાબુ નાયડુ અને તામિલનાડુના પૂર્વ મુખ્ય મંત્રી એમકે સ્ટાલિન ગત વર્ષોથી આ મામલે સતત પોતાનો સૂર વ્યક્ત કરતા આવ્યા છે.
ચંદ્રાબાબુએ ઘણી વખત ટિપ્પણી કરી છે કે દક્ષિણનાં રાજ્યોમાં યુવાનોની સંખ્યા ઘટી રહી છે અને વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
તેમણે એ પણ ચેતવણી આપી હતી કે જાપાન અને ચીન જેવા ઘણા દેશ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
તેમણે આ પહેલાં કહ્યું હતું કે રાજ્યના વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલા વિઝન-2047માં જનસંખ્યા પર વધુ ધ્યાન આપવાની જરૂરત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે હવે 9મા ધોરણથી ત્રણ ભાષા ભણવી ફરજિયાત

ઇમેજ સ્રોત, Getty Images
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીએસઈ)એ 9મા ધોરણથી ત્રણ ભાષાને ભણવાનું ફરજિયાત બનાવી દીધું છે. સીબીએસઈની દસમી બોર્ડની પરીક્ષાને ધ્યાને લેતાં આ મોટો ફેરફાર માનવામાં આવે છે.
સીબીએસઈના જણાવ્યા અનુસાર, વર્ષ 2026-27 ઍકેડેમિક સેશનથી ક્લાસ 9માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ત્રીજી ભાષાનો અભ્યાસ કરવો પડશે. જેકે, 10મા બોર્ડની પરીક્ષામાં ત્રીજી ભાષાને છૂટ આપવામાં આવી છે.
15મી મેના રોજ જારી એક હુકમનામામાં બોર્ડે કહ્યું કે નૅશનલ ઍજ્યુકેશન પૉલિસી 2020 તથા સ્કૂલ ઍજ્યુકેશન માટે નૅશનલ ક્યુરિક્યૂલમ ફ્રેમવર્ક 2023 અંતર્ગત, આ ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષા ભારતીય હોવી જોઈએ.
સીબીએસઈએ પોતાના હુકમનામામાં કહ્યું છે, "1 જુલાઈ, 2026થી ધોરણ 9 માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ જરૂરી હશે, જેમાં બે ભાષા ભારતીય મૂળની હોવી જરૂરી છે."
બોર્ડે તમામ સ્કૂલોને ત્રીજી ભાષાનું ઍસેસમેન્ટ કરવાનું જણાવ્યું છે.
રાહુલ ગાંધી બોલ્યા, '22 લાખ બાળકોની સાથે છેતરપિંડી થઈ અને મોદી ચૂપ છે'

ઇમેજ સ્રોત, @RahulGandhi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નીટ પેપર લીક મામલે કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હઠાવવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "નીટનાં 22 લાખ બાળકો સાથે છેતરપિંડી થઈ છે, પરંતુ મોદીજી એક શબ્દ પણ બોલતા નથી. ધર્મેન્દ્ર પ્રધાનજીને તરત હટાવો, અથવા જવાબદારી પોતે લો."
રાહુલ ગાંધીએ એક વીડિયો જારી કરીને કહ્યું કે "છેલ્લાં બે વર્ષથી નીટની તૈયારી કરી રહેલાં 22 લાખ વિદ્યાર્થીઓએ મહેનત કરી, પરંતુ તેમની મહેનત પર પાણી ફરી વળ્યાં."
તેમણે કહ્યું કે, વૉટ્સઍપ પર નીટનું પેપર વહેંચાઈ રહ્યું હતું અને ભારતના શિક્ષણ મંત્રી કહે છે કે "મારો તેની સાથે કોઈ સંબંધ નથી."
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો, "આ આરએસએસ, ભાજપ અને આપણી યુનિવર્સિટીઓમાં તેમના દ્વારા બેસાડવામાં આવેલા પ્રોફેસરો અને વાઇસ ચાન્સેલરો વચ્ચેની સાંઠગાંઠ છે. તેમના વચ્ચે પૈસા કમાવાની સાંઠગાંઠ છે અને આ નેટવર્કે ભારતની શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી દીધી છે."
તેમણે માગ કરી, "વડા પ્રધાનજીએ તરત આદેશ આપવો જોઈએ કે ધર્મેન્દ્ર પ્રધાનજી રાજીનામું આપે, તેમને હઠાવવામાં આવે અને દોષીઓને પકડીને જેલમાં નાખવામાં આવે."
આ વર્ષમાં નીટ અંડરગ્રૅજ્યુએટ પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી, પરંતુ 7 મેના રોજ નૅશનલ ટેસ્ટિંગ એજન્સીને ફરિયાદ મળી કે પરીક્ષાના ઘણા પ્રશ્નો પહેલેથી જ લીક થઈ ગયા હતા.
તપાસમાં આ દાવો સાચો સાબિત થયા બાદ નીટ પરીક્ષા રદ કરી દેવામાં આવી અને હવે આ પરીક્ષા ફરીથી 21 જૂને યોજાશે.
આ મુદ્દે વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ : ઈરાન ટૂંક સમયમાં જાહેર કરશે જહાજોને પસાર થવાની નવી યોજના

ઇમેજ સ્રોત, Majid Saeedi/Getty Images
ઈરાની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા પંચના પ્રમુખ ઇબ્રાહિમ અજીઝીએ કહ્યું છે કે ઈરાને પોતાની રાષ્ટ્રીય સંપ્રભુતા અને ઇન્ટરનૅશનલ ટ્રેડ સિક્યૉરિટીની ગૅરંટી અંતર્ગત, હોર્મુઝ સ્ટ્રેટમાં એક નક્કી કરેલા રસ્તા પર ટ્રાફિક મૅનેજ કરવા માટે એક પ્રૉફેશનલ સિસ્ટમ તૈયાર કરી છે.
તેમના કહેવા પ્રમાણે આ સિસ્ટમને જલદી જાહેર કરવામાં આવશે.
ઇબ્રાહિમ અજીઝીએ લખ્યું, "આ પ્રક્રિયામાં માત્ર કૉમર્શિયલ જહાજો અને ઈરાન સાથે સહયોગ કરનારાઓને તેનો ફાયદો મળશે. આ સિસ્ટમ અંતર્ગત આપવામાં આવનાર ખાસ સેવા અંતર્ગત જરૂરી ફી વસુલવામાં આવશે."
અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટને લઈને 'પ્રોજેક્ટ ફ્રીડમ' અભિયાન શરૂ કર્યું હતું અને તેનો ઉદ્દેશ આ વિસ્તારની ઑઇલની આપૂર્તિને સામાન્ય બનાવવાનો હતો. તથા વૈશ્વિક અર્થવ્યવસ્થાને સ્થિરતા તરફ લાવવા મદદગાર થવાનો હતો.
તેને કારણે ફસાયેલાં જહાજોને ખાડીથી બહાર કાઢીને ઘણા ખરા બંધ પડેલા જલમાર્ગ મારફતે તેમને સુરક્ષિત રસ્તો દેખાડવામાં આવતો હતો.
જોકે, પાકિસ્તાનના આગ્રહ પર ટ્રમ્પે આ અભિયાનને રોકવાનું ઍલાન પણ કર્યું હતું.
'વડા પ્રધાનનાં વખાણ કરવા જોઈએ', પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ પર પીયૂષ ગોયલે કેમ આવું કહ્યું

ઇમેજ સ્રોત, Chandradeep Kumar/ The India Today Group via Getty Images
પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે દેશના 140 કરોડ લોકો હાલની પરિસ્થિતિને સમજે છે, યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સમગ્ર દેશ મળીને પડકારોનો સામનો કરી રહ્યો છે.
પીયૂષ ગોયલે શુક્રવારના પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, "હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરવા માગું છું. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ 15 રૂપિયા સુધી વધી જશે પણ સરકારે મોટાભાગનો અતિરિક્ત ખર્ચ પોતે ઉઠાવ્યો છે."
"પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે, પરંતુ માત્ર લગભગ ત્રણ રૂપિયા જ વધ્યા છે કારણ કે સરકારે ઍક્સાઇઝ ડ્યૂટીથી લગભગ ત્રણ રૂપિયાની કમાણી છોડી દીધી છે. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંવેદનશીલતા અને દયાળુતા દર્શાવે છે."
પીયૂષ ગોયલે કહ્યું કે, "એવા સમયમાં સરકારે ખાતરના ભાવ વધાર્યા છે, પરંતુ જે ખાતરનો ભાવ લગભગ 3,000 રૂપિયા છે, તે ખેડૂતોને માત્ર 300 રૂપિયામાં જ અપવામાં આવી રહ્યું છે. સરકાર લગભગ 90 ટકા ખર્ચ જાતે ઉઠાવી રહી છે જેથી ખેડૂતો પર બોજો ન પડે."
ભારતમાં શુક્રવારના જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ-ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. સીએનજીના ભાવમાં પણ બે રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે.
વિપક્ષે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા મામલે કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું અને કહ્યું કે આનાથી સામાન્ય લોકો પર બોજ વધશે અને ખેડૂતો પર ખરાબ અસર થશે.
ઇસ્લામિક સ્ટેટનો મોટો લીડર અમેરિકા અને નાઇજીરિયાના સંયુક્ત અભિયાનમાં માર્યો ગયો

ઇમેજ સ્રોત, Ton Molina/Getty Images
નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા ટિનુબૂ અને દેશની સેનાએ આઈએસઆઈએસના લીડર અબૂ-બિલાલ અલ-મિનુકીના મોતની પુષ્ટિ કરી છે.
નાઇજીરિયાએ જણાવ્યું છે કે તેની સેના અને અમેરિકાની સેનાએ મળીને આઈએસઆઈએસના એક મોટા નેતાને મારી નાખ્યો છે.
રાષ્ટ્રપતિ ટિનુબૂએ એક નિવેદનમાં કહ્યું, "નાઇજીરિયન આર્મ્ડ ફોર્સે અને અમેરિકાની સેનાએ સાથે રહીને આઈએસઆઈએસને મોટો ઝટકો આપ્યો છે. આ એક સાહસી અને સંયુક્ત રીતે હાથ ધરાયેલું અભિયાન હતું."
નાઇજીરિયાની સેનાએ જણાવ્યું, "અબૂ-બિલાલ અલ-મિનુકી આઈએસઆઈએસના મોટા નેતાઓ પૈકીનો એક હતો. દુનિયાના સૌથી સક્રિય આતંકવાદીઓમાં તેની ગણના થતી હતી."
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "અબૂ-બિલાલ અલ-મિનુકીના માર્યા જવાથી આઈએસઆઈએસની વૈશ્વિક તાકત ઘણી કમજોર થઈ ગઈ છે."
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પાંચ-પાંચ રૂપિયાનો ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ-પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયની જાહેરાત અનુસાર, હવે પેટ્રોલના ભાવ 409.78 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે હાઈ-સ્પીડ ડીઝલના ભાવ 409.58 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર છે.
જોકે, ગયા અઠવાડિયે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 15 પાકિસ્તાની રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં માર્ચથી અત્યાર સુધી પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ પાંચ વખત વધારવામાં આવ્યા છે. આ દરમ્યાન ત્રણ વાર તેને પરત પણ લેવામાં આવ્યા છે.
માર્ચમાં પહેલી વખત પેટ્રોલના ભાવમાં વધારો થયો તે પહેલાં તેનો ભાવ 255 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર હતો.
ઉલ્લેખનીય છે કે ભારતમાં શુક્રવારના દિવસે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ-ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો. સીએનજીના ભાવમાં પણ બે રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો હતો.
ભારતમાં ક્યારે પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના હવામાન વિભાગે (આઇએમડી)એ જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું 26 મેના દિવસે કેરળ પહોંચી શકે છે.
આ અનુમાનમાં ચાર દિવસનો ફેરફાર હોઈ શકે છે, એટલે ચોમાસું 22 મેથી 30 મે વચ્ચે ક્યારેય પણ પહોંચી શકે છે.
સામાન્ય રીતે ચોમાસું એક જૂનની આસપાસ કેરળમાં પહોંચે છે, પરંતુ આ વખતે ચોમાસું છ દિવસ વહેલું આવવાની સંભાવના છે.
હવામાન વૈજ્ઞાનિકો માને છે કે પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિ ઊભી થવાથી ચોમાસાની ગતિ નબળી પડી શકે છે અને દેશમાં ઓછા વરસાદનું અનુમાન છે.
સ્કાયમેટ વેધર અનુસાર, આ વર્ષે હવામાનનો વરસાદ સામાન્યથી છ ટકા ઓછો રહી શકે છે. જૂનથી સપ્ટેમ્બર સુધી હવામાનના ચાર મહિનામાં દેશમાં વરસાદની સામાન્ય સરેરાશ 868.6 મિલીમીટર છે. આ ખાનગી એજન્સીએ 94 ટકાનું અનુમાન કર્યું છે.
વડા પ્રધાન મોદીએ પોતે કયા 'સમાચાર'ને ખોટા ગણાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ યાત્રા પર ભારત સરકાર દ્વારા ટૅક્સ-સેસ લગાવવાના સમાચારને ખોટા ગણાવ્યા છે.
વડા પ્રધાન મોદીએ શુક્રવારે ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે વિદેશ યાત્રા પર આ પ્રકારના પ્રતિબંધ લાદવાનો તો કોઈ સવાલ જ નથી.
તેમણે ઍક્સ પર લખ્યું કે , "આ સંપૂર્ણ જૂઠ છે. આમાં કોઈ સત્ય નથી. વિદેશ યાત્રા પર આવા પ્રતિબંધ લાદવાનો સવાલ જ નથી. અમે અમારા લોકો માટે ઈઝ ઑફ ડુઇંગ બિઝનસ અને ઈઝ ઑફ લિવિંગને બહેતર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ."
વડા પ્રધાન મોદીએ એક મીડિયા આઉટલેટની ઍક્સ પોસ્ટને રિપોસ્ટ કરતા આ દાવાને ખોટો ગણાવ્યો હતો.
પોસ્ટમાં દાવો કરાયો કે ભારત સરકાર વિદેશ યાત્રા પર ટૅક્સ/સરચાર્જ લગાવવા વિશે વિચારી રહી છે. જોકે, વડા પ્રધાનની પ્રતિક્રિયા પછી મીડિયા આઉટલેટે આ પોસ્ટ ડિલીટ કરી દીધી.
આની પહેલાં વડા પ્રધાને વિદેશી મુદ્રા બચાવવા માટે લોકોને બિનજરૂરી વિદેશ યાત્રા ટાળવાની અપીલ કરી હતી.
ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ લંબાવાયો, અમેરિકાએ કરી મહત્ત્વપૂર્ણ જાહેરાત

ઇમેજ સ્રોત, Ramiz Dallah/Anadolu via Getty Images
બીબીસી સંવાદદાતા બ્રૅન્ડન ડ્રૅનન અને યાંગ તિયાન અનુસાર ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ફરી અમેરિકાએ યુદ્ધવિરામ કરાવ્યો છે. અમેરિકાએ જાહેરાત કરી હતી કે બંને દેશોએ 45 દિવસના સીઝફાયર પર સહમતી દર્શાવી છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે શુક્રવારના જણાવ્યું કે વૉશિંગ્ટન ડીસીમાં બે દિવસની વાટાઘાટ પછી ઇઝરાયલ અને લેબનોન યુદ્ધવિરામને લંબાવવા પર સહમત થઈ ગયા છે.
અમેરિકાના વિદેશ મંત્રાયલના પ્રવક્તા ટૉમી પિગૉટે જણાવ્યું કે, "29 મેના પેન્ટાગોનમાં સુરક્ષા વિશે વાતચીત થઈ હતી, જેમાં બને દેશોની સૈન્ય ટીમો સામેલ હશે."
જોકે, આની પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 16 એપ્રિલના યુદ્ધવિરામનું એલાન કર્યું હતું, પરંતુ ત્યાર બાદ પણ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે બુધવારના જ લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલના હવાઈ હુમલામાં દક્ષિણી વિસ્તારોમાં 22 લોકોનાં મોત થયાં હતાં જેમાં આઠ બાળકો પણ સામેલ હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















